Monday, 22 July 2019

શિનોર તાલુકાનું મોટા ફોફળીયા સૂર્ય શક્તિ કિસાન યોજના-સ્કાયનું આદર્શ ગામ-મોડેલ વિલેજ બનવા તરફ અગ્રેસર

SHARE

શિનોર તાલુકાનું મોટા ફોફળીયા સૂર્ય શક્તિ કિસાન યોજના-સ્કાયનું
આદર્શ ગામ-મોડેલ વિલેજ બનવા તરફ અગ્રેસર





ગામના ખેતરોમાં આવેલા અને સિંચાઈ માટે


રાજય સરકારની સૂર્યશક્તિ કિસાન યોજના(સ્કાય)
ખેતરે ખેતરે સૂર્યશક્તિનું અવતરણ સરળ અને શક્ય બનાવશે

વડોદરા - શિનોર તાલુકાનું મોટા ફોફળીયા ગામ એ ખેતીની દ્રષ્ટિએ પ્રગતિશીલ અને પ્રયોગશીલ ગામ છે. અહીં ભૂગર્ભ જળસ્તર સારું છે. ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઇની સરળતા માટે 100 જેટલા ખેત કૂવા બનાવ્યા છે. હાલમાં આ પૈકીના 78 કુવાઓનું જાણે કે સોલરાઈઝેશન એટલે સૂર્યવિજળીકરણ થઈ રહ્યું છે. સાદા શબ્દોમાં કહીએ તો રાજય સરકારની ખૂબ જ પ્રોત્સાહક સૂર્યશક્તિ કિસાન યોજના-સ્કાય હેઠળ ખેતરે ખેતરે સૂરજના તાપને વીજળી બનાવતી સોલાર પેનલ્સ..સૂર્ય પટલો બેસાડવામાં આવી રહ્યા છે.
        આપણે વિશાળ ઝાડી જેવી જટાઓ ખોલીને મા ગંગાનું અવતરણ કરાવવા અડીખમ ઉભેલા ભગવાન શિવનું ચિત્ર જોયું છે.એની યાદ આવી જાય એવું દ્રશ્ય ખેતરે ખેતરે જોવા મળે છે. પ્રત્યેક ખેતર સૂર્યશક્તિના અવતરણને ઝીલી લેવા જાણે કે સુસજ્જ થઈ રહ્યું છે.

       જે તે ગામના કૂવા ધરાવતા 80 ટકા ખેડૂતો જોડાય તો સ્કાયનો લાભ ઝડપથી મળી શકે એવી માહિતી આપતા શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યવાહક ટ્રસ્ટી જીતુભાઇ પટેલ જણાવે છે કે, અમારા ગામના સ્કાય યોજના અપનાવનારા ખેડૂતોની સહકારી મંડળીની રચના કરવામાં આવી છે.મોટા ફોફળીયા આરોગ્ય, શિક્ષણ, રમત ગમત, કુપોષણ નિવારણ, જળ સંચય અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં અભિનવ પહેલ કરનારા ગામ તરીકે રાજયમાં જાણીતું છે. હવે ખેતકુવાઓના સૂર્ય વીજળીકરણમાં એ મોડેલ વિલેજ-આદર્શ ગામ બનશે.

     જીતુભાઇ કહે છે કે, સિંચાઈ માટે સોલાર પેનલ્સ બેસાડવી હોય તો ખેતરમાં 2500 ચોરસ ફુટ જેટલો કુવા નજીકનો પટ્ટો ફાળવવો પડે. શરૂઆતમાં ખેડૂતોને લાગ્યું કે આટલી બધી જમીન એના માટે ફાળવી દઈએ તો પાકમાં ઘટ આવે, પરંતુ આટલા પત્તામાં કપાસ જેવો પાક વાવ્યો હોય તો છોડની સંખ્યા, કપાસનો ઉતાર અને કિંમતની સરખામણીમાં આ પ્લાન્ટથી મળતી સૂર્યવિજળી, વીજ બીલમાં ચોખ્ખી બચત, વધારાની વીજળીના ગ્રીડમાં વેચાણથી મળનારી આવક જેવા લાભોનો હિસાબ માંડ્યો તો આ વિકલ્પ ખૂબ લાભ આપનારો જણાયો અને એક પછી એક ખેડૂતો તૈયાર થતા ગયા. આજે ફક્ત જે ખેડૂતો બહાર વસે છે અને જાતે ખેતી કરતા નથી એમના સિવાયના તમામ ખેડૂતો આ યોજનામાં જોડાયા છે.


 ખેડૂતે કુલ ખર્ચની માત્ર 5 ટકા રકમ ભરવાની છે એનો ઉલ્લેખ કરતા ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, યોજના હેઠળ બાકીનો તમામ ખર્ચ કરીને સરકાર સોલાર પ્લાન્ટ લગાવી આપે છે. મેં 25hp ની મોટર ચલાવી શકાય એટલી સૂર્યવિજળી પેદા કરતો પ્લાન્ટ પસંદ કર્યો છે. તેનાથી પેદા થતી વીજળી સિંચાઈ માટે હું ઉપયોગમાં લઈશ. વધારાની વીજળી વીજ નિગમના ફીડર માં જમા થશે જેના માટે હું નિર્ધારિત દરે રકમ મેળવવાને પાત્ર છે. આ રીતે જે રકમ મારા ખાતામાં વીજ ઉત્પાદનના વળતર તરીકે જમા થશે એ પ્લાન્ટ માટે સરકારે મને આપેલા ધિરાણ સામે જમા થશે.હાલમાં મારે કુવાના હોર્સ પાવર આધારિત વીજ બિલ માટે વાર્ષિક રૂ.21 હજાર ચૂકવવા પડે છે એ બચશે અને વધારાની વીજળીના વેચાણથી આવક મળતી થશે.
     એમનું કહેવું છે કે, વીજ નિગમ ખેતી માટે બહુધા રાત્રે વીજળી આપે છે એટલે ખેતકુવા થી સિંચાઈ કરવા રાત્રી જાગરણ કરવું પડે છે. ઓછામાં ઓછા બે મજૂર રાખવા પડે છે. રાત્રે કામ કરવાનું હોય એટલે બમણી મજૂરી ચૂકવવાની સાથે ચા-નાસ્તાનો ખર્ચ કરવો પડે. રાત્રે કામ કરતી વખતે ખેડૂતને કે મજૂરને ઝેરી જીવજંતુ કરડવાનો ભય રહે એટલે ઘણીવાર લેવા ના દેવા પડી જાય. સોલાર પ્લાન્ટ લગાવવાથી દિવસે જાતે સિંચાઈ કરી શકાય. મજૂરીનો ખર્ચ બચે. જીવજંતુ કરડવાનું જોખમ અને ઉજાગર કરવાની વિપદા ટળે. એટલે સ્કાય એ સાચા અર્થમાં ખેડૂત મિત્ર યોજના છે.
      સૂર્ય સુલભ અને વિપુલ ઉર્જાનો અખંડ સ્ત્રોત છે. સૂર્ય છૂટે હાથે સાવ વિનામૂલ્યે ઉર્જા વહેંચે છે. સૂર્ય શક્તિ કિસાન યોજનાને માધ્યમ બનાવીને રાજ્ય સરકારે લગભગ મફતના ભાવે ખેતરમાં સિંચાઈ માટે સૂર્ય શક્તિનો વિનિયોગ કરવાની સુવિધા આપી છે. હિન્દીમાં કહેવત છે કે આમ કે આમ,ગુઠલી કે દામ. સ્કાય એ કહેવત સાકાર કરે છે કારણ કે એના હેઠળ ઉત્પાદિત થતી સૂર્ય ઉર્જા થી વીજળીના બીલની બચત થાય છે અને વધારા ની વીજળીના વેચાણ થી ખેડૂતને આવક થાય છે. સૂર્યની ઉપાસનાની આ યોજના સહુને પ્રકૃતિ પૂજનની અનોખી તક આપે છે.

SHARE

Author: verified_user

0 comments: