Friday, 26 July 2019

મોટા ફોફળીયા ગામ તળાવની પાળે કાંતિ જીવણનો આંબો!

SHARE

મોટા ફોફળીયા ગામ તળાવની પાળે કાંતિ જીવણનો આંબો!

વૃક્ષ ઉછેરની એ પ્રેરક ગામ પરંપરાને જીવંત કરવા તળાવ કાંઠે વૃક્ષા રોપણ કરાશે






વડોદરા - જળ સંચયના કામો જોવા મોટા ફોફળીયા ગામ તળાવની પાળે લટાર મારતી વખતે એક ગ્રામજને એક વૃક્ષ તરફ આંગળી ચીંધીને જણાવ્યું કે, એ આંબો તો  કાંતિ જીવણનો છે. આ સંભળીને થોડું આશ્ચર્ય થયું એટલે પૂછપરછ કરી.
       તેના જવાબમાં શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારી શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું કે, અમારા ગામમાં તળાવની પાળે આંબા જેવા વૃક્ષો વાવવાની પરંપરા હતી અને વાવેલા વૃક્ષને સાચવવાની જે જવાબદારી સ્વીકારે એ કુટુંબના વડીલના નામે એ વૃક્ષ ઓળખાતું. એ આંબાના વૃક્ષને કાંતિ જીવણના પરિવારે દત્તક લીધેલા સંતાનની જેમ ઉછેર્યું એટલે એ તેમના નામે ઓળખાયું. આ આંબાની કેરીઓ પર એ પરિવારનો અધિકાર હા, આવું પરિવાર જે તે વૃક્ષને કાપી કે વેચી શકે નહી. એ આમન્યા બધાએ પાળવાની.
       અશોકભાઈ એ કહ્યુ કે આ વર્ષે અમે તળાવના કાંઠે મોટા પ્રમાણમાં સઘન વૃક્ષારોપણ કરવાના છે. જુની પરંપરાને જીવંત કરવા આવા વૃક્ષોની જવાબદારી ગામના પરિવારોને સોંપાશે  જે તેના ઉછેરનો પરિશ્રમ કરશે અને વળતરમાં તેના ફળોનો ભોગવટો કરશે.
       યાદ રાખવું જોઈએ કે માત્ર ઊંડાઈ વધારવાથી કે સાફસફાઈ કરવી એ જળસંચય માટે પુરતું નથી. વૃક્ષારોપણ કરવાથી પાળોની મજબૂતાઈ વધે અને તળાવ હરિયાળું અને વધુ રમણીય બને છે. આપણા ગામો વિકાસના વેગમાં વૃક્ષવિહોણા બનતા જાય છે. ત્યારે વૃક્ષ ઉછેરની મોટા ફોફળીયા ની આ પરંપરા દરેક ગામડાઓ એ અપનાવવા જેવી છે.
SHARE

Author: verified_user

0 comments: