Saturday, 6 July 2019

આણંદ જિલ્‍લાની ૭૫૩૮ વિદ્યાર્થીનીઓ લાભ મેળવી રહી છે એસ.ટી.માં વિનામૂલ્‍યે મુસાફરી કરવાની......

SHARE

શહેરી-ગ્રામિણ વિસ્‍તારની વિદ્યાર્થીનીઓ પુરતું શિક્ષણ મેળવે તે માટે
રાજય સરકારે એસ.ટી.માં  અભ્‍યાસ અર્થે અવર-જવર માટે વિનામૂલ્‍યે
મુસાફરી કરવાની સેવાઓ પૂરી પાડી છે



આ યોજનાનો આણંદ જિલ્‍લાની ૭૫૩૮ વિદ્યાર્થીનીઓ લાભ મેળવી રહી છે
એસ.ટી.માં વિનામૂલ્‍યે મુસાફરી કરવાની સાથે સલામતી અનુભવતી વિદ્યાર્થીનીઓ
                          

આણંદ  :: રાજયનો એક પણ વિદ્યાર્થી-વિદ્યાર્થીની શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્‍ચ  શિક્ષણ મેળવી કુટુંબ અને સમાજમાં ઉન્‍નત મસ્‍તકે જીવન વિતાવવાની સાથે આર્થિક રીતે પગભર થાય તે માટે રાજય સરકાર સતત ચિંતા કરી રહી છે અને વિદ્યાર્થીઓ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
       રાજયના ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના ગામોમાં વસવાટ કરતી દિકરીઓ પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ મેળવ્‍યા બાદ ઉચ્‍ચ શિક્ષણ મેળવવા માટે પોતાના ગામથી દૂર આવેલ શહેરી વિસ્‍તારોમાં અભ્‍યાસ અર્થે જવું પડતું હોય છે. પરંતુ ઘણીવાર નાણાંના અભાવે દિકરીઓ અભ્‍યાસ કરવા શહેરમાં જતી નથી. અને જો શહેરમાં અભ્‍યાસ કરવા જવું હોય તો પોતાના ગામથી બીજા ગામમાં જવા માટે મુસાફરી કરવી પડતી હતી છે. પરંતુ ગરીબ અને મધ્‍યમવર્ગના પરિવારોની દિકરીઓ પાસે મુસાફરી કરવા માટે પૂરતાં નાણાં ન હોય તો એસ.ટી.માં મુસાફરી કરવાને બદલે ઘણીવાર સસ્‍તી મુસાફરી કરાવતાં સાધનોમાં મુસાફરી કરી અભ્‍યાસ કરવા અર્થે જતાં હોય છે.
       સસ્‍તી મુસાફરીના કારણોસર તેમની મુસાફરી સલામત રહેતી નથી જેના કારણે સસ્‍તી મુસાફરીમાં જીવનું પણ જોખમ રહેતું હોય છે.
       રાજય સરકારે આ બાબતે વિદ્યાર્થીનીઓના ભાવિની ચિંતા કરીને આ વિદ્યાર્થીનીઓ તેમનો ઉચ્‍ચ અભ્‍યાસ જીવના જોખમ વગર અને સલામત રીતે કરી શકે અને તેઓને આ મુસાફરી કરવા બદલ કોઇ નાણાં ન ચૂકવવા પડે તે માટે ગુજરત રાજય માર્ગ પરિવહન વિભાગની વિદ્યાર્થીનીઓની વ્‍હારે આવ્‍યું.
       રાજયના સંવેદનશીલ મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો કે મારા રાજયની કોઇપણ દિકરી નાણાંના અભાવે કે અન્‍ય કોઇ કારણોસર શિક્ષણથી વંચિત રહેવી ન જોઇએ અને દિકરીઓ સલામત રીતે એક ગામથી બીજા ગામે અભ્‍યાસ કરવા અર્થે જાય તે માટે એસ.ટી.માં વિનામૂલ્‍યે અભ્‍યાસ કરવા અર્થે જઇ શકે તે માટે વિનામૂલ્‍યે મુસાફરી કરવાની યોજના અમલમાં મૂકી.
       આ યોજનાનો અમલ થવાથી રાજયમાં એસ.ટી. બસ સેવાઓ માત્ર મુસાફરોની અવર-જવર કરવા પૂરતી જ સીમિત ન રહેતા છેવાડાના અને અંતરિયાળ વિસ્‍તારના વિદ્યાર્થીઓ માટે રાહત દરે અને વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્‍યે મુસાફરી કરવાની સેવાઓ પૂરી પાડીને શિક્ષણને પ્રોત્‍સાહન પુરૂં પાડવાની એક સામાજિક જવાબદારી પણ અદા કરી રહ્યું છે.
       રાજય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ આ યોજનાનો કારણે આજે આણંદ જિલ્‍લાની ૭૫૩૮ વિદ્યાર્થીનીઓ એસ.ટી. બસની વિનામૂલ્‍યે મુસાફરી કરવાનો લાભ મેળવીને શિક્ષણ મેળવવા અર્થે એક ગામથી બીજા ગામનો પ્રવાસ કરી રહી છે.
       આ યોજનાના કારણે અગાઉ જે દિકરીઓ નાણાંના અભાવના કારણે અભ્‍યાસ કરવા અર્થે એક ગામથી બીજા ગામે જઇ શકતી નહોતી જેના કારણે તેઓનો અભ્‍યાસ અધૂરો રહેતો હતો તેમાંથી તેઓને મુકિત મળતાં આજે વધુ સારી રીતે એસ.ટી.ની સલામત મુસાફરી કરીને ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરી રહી છે.
       આમ રાજય સરકારના કોઇપણ દિકરો-દિકરી ઉચ્‍ચ અભ્‍યાસથી વંચિત રહેવા ન પામે તેની કાળજી લઇ રહી છે ત્‍યારે રાજય સરકારના આ સેવાયજ્ઞમાં એસ.ટી. પણ સહભાગી બની દિકરીઓને વિનામૂલ્‍યે સલામત અને સુરક્ષિત મુસાફરી કરાવીને પોતાનું યોગદાન આપી રહી છે.
       આજે  એવી કેટલીય  દિકરીઓ હશે કે જેઓ રાજય સરકારની આ યોજનાને કારણે સલામત અને સુરક્ષિત મુસાફરી કરવાની સાથે સારૂં શિક્ષણ મળવાનો આનંદ પ્રાપ્‍ત કરી રહી છે. જયારે તેઓ એસ.ટી.માં મુસાફરી કરે છે ત્‍યારે તેઓના ચહેરા પણ એક અનેરો આનંદ અને ઉત્‍સાહ પણ જોવા મળતો હોય છે તે જ બતાવે છે કે પોતે ઉચ્‍ચ શિક્ષણ મેળવવામાંથી પીછેહઠ નહીં કરી અને ઉચ્‍ચ શિક્ષણ મેળવીને જ ઝંપશે.
સંકલન : દિપક ભટ્ટ

SHARE

Author: verified_user

0 comments: