મહેમદાવાદમાં
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘‘નયા ભારતના નિર્માણમાં વરિષ્ઠ
નાગરિકોની ભૂમિકા‘‘ વિષયક સેમિનાર યોજાયો
- વરિષ્ઠ નાગરિકો સમાજની મૂલ્યવાન સંપત્તિ છે
- વરિષ્ઠ નાગરિકો પોતાના અનુભવોનું યુવા પેઢી સાથે આદાન પ્રદાન કરે
- સમાજમાં બદલાવ માટે વરિષ્ઠ નાગરિકો રચનાત્મક પ્રવૃત્તિઓ કરી સમાજ
શ્રેયનું કાર્ય કરે- :: રાજ્યપાલ
રાજ્યપાલશ્રીના હસ્તે
દેહદાન કરનાર વરિષ્ઠ નાગરિકોનું સન્માન
શ્રી ગુણવંત પરીખ લિખિત ‘‘પ્રાસંગિક
રામાયણ‘‘ પુસ્તકનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન
મહેમદાવાદ- રાજ્યપાલશ્રી
ઓ.પી.કોહલીજીએ જણાવ્યું છે કે ભારતીય સમાજમાં વરિષ્ઠ નાગરિકો મૂલ્યવાન સંપત્તિ
છે. વરિષ્ઠ નાગરિકો પોતાના અનુભવોનું યુવા પેઢી સાથે આદાન
પ્રદાન કરી આઝાદીના આંદોલનના લક્ષ, આદર્શોથી નવી પેઢીને વાકેફ કરે તે જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ વરિષ્ઠ નાગરિકોને પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિએ
પૂ.બાપૂના આદર્શોને ચરિતાર્થ કરવા સમાજ ઉપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી સમાજ
પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ ઓ.પી.કોહલીજી આજે સીનીયર સીટીઝન ફોરમ, મહેમદાવાદ
દ્વારા ડી.એ.કોલેજ ઓફ એન્જીનીયરીંગ અને ટેકનોલોજી ખાતે યોજાયેલ ‘‘નયા ભારતના
નિર્માણમાં વરિષ્ઠ નાગરિકોની ભૂમિકા‘‘ વિષય સેમિનારમાં પોતાના વિચારો વ્યક્ત
કર્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રીએ શ્રી ગુણવંત પરીખ દ્વારા લિખિત ‘‘પ્રાસંગિક રામાયણ‘‘
પુસ્તકનું વિમોચન કર્યુ હતું. રાજ્યપાલશ્રીના હસ્તે દેહદાન કરનાર વરિષ્ઠ
નાગરિકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ
નાગરિકો સેવા સંસ્કાર, પારિવારિક ભાવના અને ભારતીય પરંપરાઓ યુવા પેઢી સુધી
પહોંચાડવાની સામાજિક જવાબદારી નિભાવે એવી લાગણી વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું
કે વિવેક, નિષ્ઠા, પ્રમાણિકતા અને સંસ્કારિતાના મજબુત પાયા ઉપર યુવા પેઢી દેશને
આગળ લઇ જશે. ભારતની ગૌરવપૂર્ણ સામાજિક ધરોહર વરિષ્ઠ નાગરિકો યુવા પેઢીને પ્રદાન
કરે તે અત્યંત આવશ્યક છે, સમાજમાં બદલાવ માટે વરિષ્ઠ નાગરિકો રચનાત્મક
પ્રવૃત્તિઓ કરી સમાજ શ્રેયનું કાર્ય કરે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યપાલશ્રીએ પર્યાવરણ બચાવવા, જળસંકટ, જળવાયુ પરિવર્તનની
સમસ્યાને પહોંચી વળવા વરિષ્ઠ નાગરિકોને સમયદાન દ્વારા સમાજમાં વ્યાપક જન-જાગૃત્તિ
ઉભી કરવા જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકો પોતાના જ્ઞાનના
આધારે રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણની યોજનાઓ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી
પહોંચાડવાનું કામ કરવું જોઇએ. ગરીબ પરિવારના બાળકોને મફતમાં શિક્ષણ આપવા તેમણે
અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ
વરિષ્ઠ નાગરિકોને ઉંમર વધવાની સાથે બિન ઉપયોગીપણાની માનસિકતામાંથી બહાર આવી
સમાજનું કલ્યાણ અને મંગળ થાય તેવું એક કાર્ય આત્મસંતોષ સાથે કરી સમાજને ઉપયોગી
થવા ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજયોગીની બ્રહ્માકુમારી પૂર્ણિમાબહેને આર્શીવચન પાઠવતા જણાવ્યું
કે નયા ભારતના નિર્માણ માટે વડીલોનું વિશેષ યોગદાન રહ્યું છે. ભાવિ પેઢીમાં સંસ્કારોનું
સિંચન, ફેશન અને વ્યસનમુક્તિ, તેમજ કુરિવાજો માંથી સમાજને મુકત કરવા સાથે સ્વચ્છતા
અને સ્વસ્થતા માટે વડીલો સમાજને માર્ગદર્શન આપે તે જરૂરી છે. પૂજ્ય બાપૂના સ્વપ્નના
ભારતના નિર્માણ માટે તેમના જીવનમૂલ્યો અને આદર્શોને આત્મસાત કરવા અનુરોધ કર્યો
હતો.
પ્રારંભમાં સિનીયર સિટીઝન ફોરમના ફાઉન્ડર ર્ડા. મહેશ પરીખે
સૌનો આવકાર કરતાં સેમિનારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સિનીયર સિટીઝન ફોરમ દ્વારા
વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે હાથ ધરાવામાં આવેલ પ્રવૃત્તિઓનો તેમણે ચિતાર આપ્યો હતો.
અંતમાં સિનીયર સિટીઝન ફોરમના પ્રમુખ ર્ડા.ધારીણી શુકલાએ આભાર
વિધિ કરી હતી.
આ પ્રસંગે કલેકટર સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, પ્રાંત
અધિકારી વિવેક પટેલ તેમજ વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા.
by -કલ્પેશ પટેલ ,વીરાંગ મહેતા -મહેમદાવાદ
0 comments: