Sunday, 14 August 2022

અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે વાયુસેનાના બેન્ડ દ્વારા ભવ્ય રજુઆત કરાતા લોકો દેશભક્તિના રંગમાં મંત્રમુગ્ધ બન્યા

SHARE
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે વાયુસેનાના બેન્ડ દ્વારા ભવ્ય રજુઆત કરાતા લોકો દેશભક્તિના રંગમાં મંત્રમુગ્ધ બન્યા

જીએનએ અમદાવાદ: ભારતીય વાયુસેનાનું નામ આવે ત્યારે દરેક ભારતીય નાગરિકની છાતી ગર્વથી ફૂલી જાય છે આકાશમાં દુશ્મનોને પરાસ્ત કરવા સતત બાજ નજર રાખી દેશની રક્ષા કરવા માટે હંમેશા તે તત્પર અને સજાગ જોવા મળે છે. ભરેભરખમ વિમાનોને પોતાના હાથ વડે નિયંત્રિત કરતા આ ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનો છે. તેવી જ રીતે ધરતી પર રહી સંચાલન તેમજ સંકલન સાથે આંગળીના ટેરવે વાજિંત્રોમાંથી દેશભક્તિના અનેક સુર રેલાવી દેશના વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી દેશભક્તિનો દબદબો કાયમ રાખે છે અને તે જવાનોનો સમૂહ એટલે આપણી ભારતીય વાયુસેનાનું બેન્ડ. જેમના મધુર સ્વરોને સાંભળવાનો અવસર અને લહાવો મળે તો તે કંઈક અનેરો જ હોય. આવો જ ઐતિહાસિક અવસર અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે અમદાવાદીઓને જોવા મળ્યો હતો અને લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહ એવીએસએમ- વીએસએમ એ 12 ઑગસ્ટની સાંજે 5:30 કલાકે સાબરમતી આશ્રમ ખાતે ‘તિરંગો’ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ ડૉ. આરતી સિંહ પણ જોડાયા હતા.

આ ઉપરાંત, એઓસી-ઇન-સી સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે સાંજે 6:30 કલાકે ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા આપવામાં આવેલા પરફોર્મન્સના સાક્ષી બન્યા હતા. વાયુસેના બેન્ડએ માર્શલ ધૂન વગાડી હતી. સ્થાનિક કલાકારો તેમજ વાયુસેના બેન્ડના કર્મીઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પ્રેક્ષકો બેન્ડના પરફોર્મન્સથી મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિના ઉત્સાહથી રંગાઈ ગયો હતો. ભારતીય વાયુસેનાના આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ પણ જાણવા મળ્યો હતો જે લોકો માટે ખૂબ મહત્વની વાત જોવા મળી હતી.

સંકલન-કલ્પેશ પટેલ, અમદાવાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: