Wednesday, 23 October 2019

વડોદરાનો વ્યાપ અને સંસ્કૃતિ સાથે વણાયેલો મહારાષ્ટ્રીયન સમુદાય એ પરંપરા અનુસરી વડોદરાની દિવાળીને નવો આયામ આપી શકે..

SHARE

દેશ અને પ્રદેશ પ્રમાણે દિવાળીની ઉજવણીમાં અનોખી વિવિધતા જોવા મળે છે...
પુણે સહિત મહારાષ્ટ્રમાં દિવાળી પ્રસંગે ઘર સોસાયટી ફળિયા અને પોળોમાં શિવાજી મહારાજના કિલ્લાની સજાવટ કરવામાં આવે છે..

કોર્પોરેટ કંપનીઓના કાર્યાલયમાં પણ સજાવેલા કિલ્લા દિવાળીનું આકર્ષણ બને છે....

વડોદરાનો વ્યાપ અને સંસ્કૃતિ સાથે વણાયેલો મહારાષ્ટ્રીયન સમુદાય એ પરંપરા અનુસરી વડોદરાની દિવાળીને નવો આયામ આપી શકે..

વડોદરા -દિવાળી એ આપણા દેશનો માત્ર ધાર્મિક નહીં સાંસ્કૃતિક ઉત્સવ છે અને એટલે જ દેશભરમાં બહુધા મોટાભાગના લોકો ધર્મ અને કોમના ભેદ વગર એની ઉજવણીમાં જોડાય છે.દિવાળીના ફટાકડા અને દિવાળીની મીઠાઈ આ પ્રકારના ભેદભાવોને કોરાણે મૂકી સહુને જોડે છે.


ભારતની દિવાળી જેવી દીપ સાથે સંકળાયેલા ઉત્સવોની પરંપરા વિશ્વના ઘણાં દેશોમાં પ્રચલિત  છે.દેશના વિવિધ પ્રદેશો,રાજ્યો અને નગરોમાં પણ દિવાળીની ઉજવણીની ઘણી આગવી,અનોખી અને વિવિધતાસભર પ્રથાઓ પ્રચલિત છે જે આ તહેવારને વધુ રમ્ય અને ગમ્ય બનાવે છે.

મહારાષ્ટ્રના સંસ્કૃતિ નગર પુણે અને લગભગ સમગ્ર રાજ્યમાં આવી જ એક પરંપરા દીપોત્સવી પ્રસંગે રાષ્ટ્રપુરુષ વીર શિવાજી મહારાજના કિલ્લાઓ બનાવવાની છે.આ પ્રથા ઉત્સવને વધુ રંગીન બનાવવાની સાથે યશસ્વી અને શૂરવીર પૂર્વજના પૂજનનો આયામ દિવાળીમાં ઉમેરે છે.


મૂળ વડોદરાની અને હાલમાં પુણેકર બની ગયેલી વિદુષી મિશ્રા-બાજપાઈ જણાવે છે કે શિવાજી મહારાજે જ્યાં સૂર્યના કિરણને પણ પહોંચતા પરસેવો પડી જાય એવા ઘનઘોર જંગલો વચ્ચે આવેલા વિકટ અને દુર્ગમ પહાડો પર મજબૂત અને અદભુત કિલ્લાઓનું આજ થી લગભગ 300 થી વધુ વર્ષો પહેલા નિર્માણ કર્યું હતું.હિન્દૂ રાષ્ટ્રની ચેતનાના આ ઉદગાતા એ ટાંચા સાધનો વડે આવા દુર્ગમ સ્થળોએ બાંધેલા અજેય દુર્ગો, એ લોક નાયક શિવાજી મહારાજની વ્યૂહ રચનાકાર તરીકેની કુશળતા, નિર્માણ કળાની અદભુત જાણકારી જેવી વિવિધ ક્ષ્મતાઓને ઉજાગર કરે છે.આ કિલ્લાઓ અનેરો અને ઉજ્જવળ ઇતિહાસ સાચવીને બેઠા છે.દિવાળી ટાણે પુણે અને લગભગ આખા મહારાષ્ટ્રમાં બનાવવામાં આવતા આ કિલ્લાઓ કુશળ લડવૈયા પૂર્વજોનો મહિમા કરવા અને ગુણાનુવાદ કરવાની સાથે ભાવિ પેઢીને તેનાથી વાકેફ રાખવાના પ્રયાસરૂપ હોઈ શકે છે.
આજ થી એકાદ દશક પૂર્વ સુધી દિવાળી પ્રસંગે ઘર આંગણે,પોળ,ફળિયા અને સોસાયટીઓમાં બાળકો ભેગા મળીને માટી અને અન્ય સજાવટી સામગ્રી ભેગી કરીને કિલ્લા બનાવતા,સજાવતા અને યશસ્વી,શૂરવીર પૂર્વજોને યાદ કરતા.પરંતુ દો મીનટ્સ મેં તૈયાર મેગી નૂડલ્સના આ ઇન્સ્ટન્ટ યુગમાં હવે કિલ્લા બનાવવા અને સજાવવાનો રેડીમેડ સામાન મળે છે. જો કે પુણેરી બાળકોની હજુ પણ દિવાળી વેકેશનની માનીતી પ્રવૃતિ કિલ્લેબંધી છે એની નોંધ લેવી ઘટે.


એટલે દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહે એની સાથે જ દરેક ઘર,પોળ,ફળિયા,વાડા અને સોસાયટીઓમાં બાળ ગોપાળો અનેરા ઉત્સાહ થી કિલ્લા લાવી અને એની સજાવટના કામમાં દિલચસ્પી સાથે લાગી પડે છે.આપણો કિલ્લો સહુ થી સારો હોવો જોઈએ એવો સ્પર્ધાભાવ એમની ધગશ વધારે છે. તૈયાર કિલ્લાની સાથે એની જીવંત સજાવટ માટે આખી સેના,દરવાનો,વાજિંત્ર વાદક કલાકારો,રક્ષક સૈનિકો,વેપારી મહાજનો,નગરના લોકો,પૂજારી,ગોવાલણ, પશુ,પક્ષી,વૃક્ષો,ઘરો, મંદિરો આ બધું જ તૈયાર પ્રતિમાઓ સ્વરૂપે મળે છે. જાણે કે શિવાજી મહારાજના કિલ્લાને આ સ્થૂળ પ્રતિકોની સજાવટ અનેરી અને બોલકી સજીવતા આપે છે. હવે એમકે સીએલ જેવી કોર્પોરેટ કંપનીઓ પણ તેમના કાર્યાલયોને કિલ્લેબંધીથી સજાવે છે.

           
દિવાળીની ઉજવણીને મૂળ સાથે જોડતી આ પરંપરા છે.કદાચ એના જ વ્યાપના રૂપમાં વડોદરામાં ફતેહસિંહરાવ સંગ્રહાલય દ્વારા માટીના કિલ્લા બનાવવાની સ્પર્ધા છેલ્લા થોડા વર્ષથી શરૂ કરવામાં આવી છે અને એને પ્રોત્સાહક પ્રતિસાદ પણ મળ્યો છે.

વડોદરાની સંસ્કૃતિમાં મહારાષ્ટ્રીયન પરંપરાઓની સુવાસ ભળેલી છે એટલે દિવાળી ટાણે શિવાજીના કિલ્લા બનાવીને અનોખી સજાવટની આ ઇતિહાસની આરસી જેવી સાંસ્કૃતિક પરંપરા આપણા વડોદરા શહેરમાં શરૂ થાય તો નવાઈ ના પામતા.

SHARE

Author: verified_user

0 comments: