Tuesday, 28 May 2019

નણદોઈએ વારંવાર દુષ્કર્મ આચરતા પરીણિતાની દોઢ વર્ષ બાદ ફરિયાદ

SHARE

નણદોઈએ વારંવાર દુષ્કર્મ આચરતા પરીણિતાની દોઢ વર્ષ બાદ ફરિયાદ

- કપડવંજ તાલુકાના થવાદલાટ ગામે આરોપી સહિત પતિ, સાસુ- સસરા અને નણંદ સામે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી

નડિયાદ, તા. 28 -કપડવંજ તાલુકાના એક ગામની પરણિતાને સંતાન ન થતું હોઇ નણદોઇ દ્વારા વારંવાર બળાત્કાર થયાની અને આ ઘટનામાં પતિ,સાસુ અને સસરાએ સાથ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે દોઢ વર્ષ સુધી બળાત્કારનો ભોગ બનેલ મહિલાએ કપડવંજ રૂરલ પોલીસ મથકે આ પાંચેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના થવાદલાટ ગામે ઉમેશભાઇ કેશવભાઇ પટેલ રહે છે. બે વર્ષ અગાઉ ઉમેશભાઇના લગ્ન મહારાષ્ટ્રના લક્ષ્મીપેટમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પણ સંતાન ન થવાથી મહિલાએ બાયડ અને મોડાસાની હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. જેમાં યુવતીનો રીપોર્ટ નોર્મલ આવ્યો હતો  અને ડોક્ટરોએ બાળક થશે તેવુ પણ જણાવ્યું હતું. આથી આ પરણિતાએ પતિને પણ રીપોર્ટ કરાવવા કહ્યુ હતુ. પરંતુ પતિએ  મારે આવા કોઇ રીપોર્ટની જરુર નથી તેમ કહ્યું હતું. 
આ દરમ્યાન તેમના લગ્નને દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો હતો.  થોડા વર્ષ અગાઉ આ મહિલાના સાસુ મંજુલાબેન, સસરા કેશવભાઇ નાનજીભાઇ પટેલ અને પતિ ઉમેશભાઇ નજીકના માલપુર ગામે લગ્નમાં ગયા હતા. ત્યારે મહિલા ઘરમાં એકલી હતી. તે સમયે અરવલ્લી જિલ્લાના બાયડ ગામે રહેતા તેણીના નણદોઇ નીલેશ મગનભાઇ પટેલ તેમના ઘરે આવ્યા હતા. તે સમયે નિલેશભાઇએ આ મહિલાની એકલતાનો લાભ લઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ત્યારબાદ નિલેશભાઇ પરત પોતાના ઘરે બાયડ આવી ગયા હતા. 

સાંજે લગ્નમાંથી પરત ફરેલા પોતાના પતિ, સાસુ અને સસરાને  આ બનાવ અંગે મહિલાએ જાણ કરી હતી. ત્યારે  તેમણે તારે બાળક જોઇએ છે એટલે તુ કોઇ માથાકુટ કરીશ નહિ અને તેમનો કોઇ વિરોધ ન કરીશ કે કોઇને કાંઇ કહીશ નહિ તેવું કહી મહિલાને ચૂપ કરી દીધી હતી. આથી આશ્ચર્ય સાથે દુઃખી થયેલી મહિલાએ પતિ તથા સાસુ-સસરા સાથે ઝઘડો કર્યો હતો. 
આ ઘટના બાદ દર બે ત્રણ મહિને નિલેશભાઇ ઘરે આવતા  અને મહિલા પર બળાત્કાર ગુજારીને ચાલ્યા જતા હતા. આ બાબતે મહિલા પતિ ઉમેશભાઇનેકંઇ કહે તો કોઇ કાંઇ સાંભળવા તૈયાર ન હતા. આથી કંટાળેલી મહિલાએ પોતાના પિયરીયા સાથે વાત કરતા તેઓ ગત્ તા.૯ એપ્રિલના રોજ થવાદલાટ ગામે આવ્યા હતા. 

જ્યાં બધાએ ભેગા થઇ પતિ સાથે છુટાછેડા લેવા અને તેના બદલામાં નિલેશભાઇ રૂપિયા ૧૦ લાખ આપશે. એટલે મહિલા ફરિયાદ ન કરે. આ વાત મંજુર રાખી મહિલાના માતા પિતા પરત મહારાષ્ટ્ર ચાલી ગયા હતા. આ ઘટના બાદ ગત્ તા. ૧૮ મેના રોજ સવારના સમયે પતિ, સાસુ,સસરા બાયડ ગયા હતા. ત્યારે નિલેશકુમાર ફરી ઘરે આવ્યા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો. 

આવું વારંવાર બનતા કંટાળેલી મહિલા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેને નણંદોઇ નીલેશકુમાર મગનભાઇ પટેલ રહે.બાયડ ,પતિ ઉમેશભાઇ કેશવભાઇ પટેલ, સસરા કેશવભાઇ નાનજીભાઇ પટેલ, સાસુ મંજુલાબેન કેશવભાઇ પટેલ રહે. થવાદલાટ તા. કપડવંજ તથા નણાંદ દક્ષાબેન નીલેશકુમાર પટેલ વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ રૂરલ પોલીસે આ પાંચેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


SHARE

Author: verified_user

0 comments: